Sunday, February 13, 2011

ગોવાળીયો વિશે

r3p2rabari.jpgપ્રથમ તો આપ સવઁને બાબુ  ઉફેઁ બિમલ રબારીના પ્રણામ..આમ..ગુજરાત અને ભારત જ્યારે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે આપણે વિકાસની આ હોડમાં હાંસીયામાં ધકેલાઈ જઈએ હરગીજ આપણને પરવડે તેમ નથી …બસ એ વિચારે…આ બ્લોગના સજઁન માટેનું પ્રેરકબળ પુરું પાડયું છે…આપણા વિકાસ સામે અનેક પડકારો સમસ્યાઓ ખડા થયા છે..આપણે હજી વિકાસની નવી કેડીઓ કંડારવાની છે….તો અહીં આપણે વાતો કરીશું ગોપાલકોની સમસ્યાઓની ….વિકાસગાથાઓની …અને હજી પણ સ્થાયીજીવન ગુજારતા નથી થયા એવા બાંધવોને શી રીતે મદદરુપ થઈ શકાય..તે વિશે…..ગોવાળીયાની આ જગત જાત્રાથી સવઁ માલધારી યુવાનોને હું  એક મંચ પર લાવવા માગું  છું .આપનો સવઁની હુંફ સહકાર મને મળશે એ આશા સહ…………જય વડવાળા 
……………………………………………………………………………..
                            2005050800060101.jpg        
                                     ઝાંપે ગાવડી
                                  ભાંભરી બળી ગઈ
                                       સાંજની વેળા

ખરખરતાં ઝરણાંને સંગ સંગ અમે

r7p1rabari.jpgવન-વન ભટક્યાને ..રણ રણ રઝળ્યા.
ખરખરતાં ઝરણાંને સંગ સંગ અમે
વાંસળીના સુર થઈ વહ્યા..!
વાડ વાડ વેલે વેલે..વસુને ખોળે
ટાઢ તાપ-તડકાને ઓઢી અમે
ક્યારેક વાદળ થઈ વરસ્યા..!
તરસ જીરવાતી નથી હવે સહેવાતી નથી
રણમાં રઝળીને સદીઓ વિતાવી અમે
બાગમાં આવીને હવે ભટક્યા…!
યુગોની વેદનાનો કોઈ તો આરો હશે.!
આવનારો યુગ હવે મારો હશે..મારો હશે..!
તુટ્યું સપનુંને અમે ઝબક્યા….!?
***********************************
આ લાલ ચણોઠી નથી
આ તો છે….એકલવ્યના
ક્પાયેલ જમણા હાથના
અંગુઠાથી ફેલાયેલ ….
રુધીરના ઉગી નીક્ળેલ રકતબિંદુઓ……….
અને આ કાળું આંખ જેવું દેખાય એ
બીજું કંઈ નહીં.
દ્રોપદી સ્વંયવરમાં.
કણઁના હાથે
ના વિંધાઈ શકેલ
માછલીની આંખ..
કહું છું સ્પર્શો મા…..
ઓ યુગ પંડીતો ….
એને સ્પર્શો મા….
……………………..*******……………………..
કવિતામાં એ હવે અવરતરતી નથી.
ગઝલનું રુપ હવે ધરતી નથી.
સાવ મુંગી થઇ ગઇ છે આ લાગણી,
હું ઢંઢોળું તોયે સળવળતી નથી.
કવિતામાં એ હવે અવરતરતી નથી
માથે મટુકી મહીંની મેલી,છાતીએ ચીતરાવી મોર
ઉર્વશી મેનકાને શરમાવે એવી,અહીરની ક્ન્યાનો ક્લશોર.
મહીં લ્યો કોઇ મહીં સાદ દેતી નથી…
કવિતામાં એ હવે અવરતરતી નથી
ઘેરદાર ઘાઘરામાં નથી અંબરનો વૈભવ,ગોરી કાયાથી ગયું છુંદણાનું કામણ.
ઓઢણીની કોરે ચીતરેલા કાન કુંવરને,તુંટ્યું કીનખાબી ક્મખાનું સગપણ.
વાલાને વઢીને કે”જો  કે”તી નથી…
કવિતામાં એ હવે અવરતરતી નથી
ઘમ્મર વલોણાનો ઘુંઘવતો નાદ ગયો,કડલા કાંબીને જેરનો નિનાદ ગયો.
ગયા હાથ વાયરાને પગપાન ગયા,હૈયે રમતા”તા સદાએ કાન ગયા.
ધરણીની ધ્રુજાવે એમ રાસ રમતી નથી….
કવિતામાં એ હવે અવરતરતી નથી

વિકાસ અને આપણે

   સાક્ષરતા કોઈપણ સમાજની વિકાસગાથાની પાયાની ઈંટ છે.સાક્ષરતા મારે મતે  અક્ષર જ્ઞાન નહીં કે તેનો અર્થ પોથી પંડીતાઈ પણ નહીં પણ વિશાળ અર્થમાં કહી તો સારા- નરસાને અર્થ ગ્રહણ કરી શકવાની  વિવેકબુદ્ધી યુક્ત ક્ષમતા કે કેળવણી.બીજા અર્થમાં કહીએ તો  સાક્ષરતા માણસ -સમાજને સાક્ષાત્કાર તરફ દોરી જાય તો જ તેનો અર્થ સરે….કદાચ આજનું શિક્ષણ ઘણે અંશે વ્યવસાયિક પણ થઈ ગયું છે.કદાચ સમયની માંગ છે.માહિતી, ટેક્નોલોજી અને આધુનિકીકરણનો યુગ છે.ભારતીય સમાજ બે મોટા વિભાગોમાં વહેંચાઈ ગયો છે….એક તો એ સમાજ જેની પાસે માહિતીનો ઢગ છે.જે આ માહિતીને આધારે સિધ્ધીના સોપાનો સિધ્ધ કરે છે અને એ પણ રોકેટ ગતિએ બીજો એ સમાજ જેની પાસે માહિતી નથી અને માહિતીના અભાવે સમાજનો એક વર્ગ મુખ્ય પ્રવાહમાંથી દૂરને દૂર ધકેલાતો જાય છે અને આમાં વર્ણ વ્યવસ્થાના વાડાઓ તો ખરા જ .ઉપલક નજરે કદાચ આપણને લાગે કે જ્ઞાતિનો દરજ્જો સુધર્યો છે.તેના કોટીક્રમિક માળખમાં ગતિશીલતા આવી છે.પણ હકીકત આધારીત સંશોધનોએ પુરવાર કર્યું છે.કે ભારતીય સમાજમાં જ્ઞાતિએ ઉભી ગતિશીલતા નહીં પરંતુ આડી ગતિશીલતા કરી છે.જ્ઞાતિ મંડળો., સમિતીઓ, મેળાવડાઓ એ જ્ઞાતિની આવી આડી ગતિશીલતાની નિશાની છે.          
              આમાં આપણો સમુદાય કયાં ? જો કે માત્ર આ રીતે કહેવું એ એક પ્રકારની સંકુચિતતા જ છે.કારણે આપણે પ્રથમ તો ભારતીય જ છીએ પણ અહીં કહેવું એ માટે યોગ્ય છે કે આપણા સમુદાયનો વિકાસ આખરે ભારતીય સમુદાયનો વિકાસ છે.ગુજરાતનો વિકાસ છે અને ગુજરાત કે ભારતના વિકાસમાં આપણે કેટલો ફાળો આપ્યો…? કેટલો ફાળો આપી શકીએ ? અને જો નથી આપી શકતા તો તેના અવરોધક પરિબળો ઉપર પણ નજર કરવી રહી. આવા પરિબળો કોઈ પણ સ્વરૂપે હોય ચાહે સામુદાયિક , સામાજિક , આર્થિક કે રાજકીય સ્વરૂપે હોય.આમાંના અમુક અવરોધક પરિબળો આપણે સામુદાયિક પ્રયત્નો થકી જાતે પણ દૂર કરી શકીએ તેમ છીએ..કારણ કે સમાજમાં થોડોક વર્ગ આર્થિક રીતે અગ્ર છે એમાં શંકાને સ્થાન નથી. શિક્ષણ ક્ષેત્રે પણ કાઠું કાઢ્યું છે એમ આપણને લાગે પણ ખરેખર આ બાબતે કોઈ સંશોધન કે સર્વે કરવામાં આવે તો આ ખ્યાલ પણ કદાચ ભ્રામક નીકળે.ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો આ ક્ષેત્રે ગુજરાતમાં આશરે ૫ થી ૭ લાખની વસ્તી ધરાવતા આપણા સમુદાયનું પ્રતિનિધિત્વ કેટલું ? મફતભાઈ રણેલાકર , કે દાદુ રબારી જેવા આંગળીને વેઢે ઘણી શકાય તેટલા લેખક અને કવિ વળી માલધારી ભાઈ બેનોની બાનીમાં જે જોમ જુસ્સો છે..કે રૂઆબ છે તે ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી લોકબોલીને દિપાવી શકે એટલી ક્ષમતા ધરાવે છે. પોતાના આરાધ્ય દેવને વગડાનો વિહામો (વિસામો) કે અડધી રાતનો હોંકારો કોણ કહી શકે… વિચારજો જરી …….માત્ર બે શબ્દોમાં કેટલી મોટી વાત? અમે લગ્નના ફટાણા કે લોકગીતની મજા તો કંઈ ઓર જ ઉત્તરાનો રાસડો લઈ ઝુમતી માલધારીબેનો ને કયારે જોઈ છે…ઉત્તરા બીજી કોઈ નહીં અભિમન્યુની પત્ની અને …..એણે આણે જતા રતનાજી રાયકાની વાતનો રાસ…. દિલ્લી હસ્તિનાપુર સેર રતનાજી (૨)..કૌરવ પાંડવે જુદ્ધ (યુદ્ધ) માંડ્યા રતનાજી (૨)…સોના ટકોને પાન બીડ્યાં રતનાજી (૨) બાળા અભિમન્યુ ઝડપ્યા રતનાજી.(૨) આશરે એક કલાક અલગ લય અને અલગ તાલ લઈ ચાલતો આ રાસડો માણવા જેવો ખરો…મેં બહુ નાની ઉંમરે સાંભળેલો રાસડો મને આછો પાતળો યાદ છે.કોઈ માલધારી બહેન ભાઈ જોડે આખો રાસ હોય તો મને મોકલજો …….કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે ગોપ સંસ્કૃતિનો એક સમૃધ્ધ વારસો છે. જે લોક સાહિત્યમાં પણ ક્યાંક નજર અંદાજ થયો છે કે આંખ આડા કાન કરવામાં આવ્યા છે.? એ એક સવાલ છે….   વધુ હવે પછી