Wednesday, February 9, 2011

ૐ નમો નારાયણ ! જય વાળીનાથ !

સત ગુરુ બળદેવગીરી બાપૂના ચરણારવિંદ સેવા ના કૃપાપાત્ર એવા દેસાઈ તેજમલભાઇ રાંમશીભાઇ, ગામ-બુટ્ટાપાલડી, તા.જી.મહેસાણા ના ભગવાન સદાશિવ ભોળાનાથે મહાશક્તિ,મહામાયા,આદિ શક્તિ, મા ભગવતિ કે જે સમસ્ત બ્રહ્માંડ ની ઉત્પતિ ના કારણ રુપ છે તેમ ની એકલતા દુર કરવા ના પ્રયોજન ની સિધ્ધી માટે શિવ એટલે કે સદાય કલ્યાણ કારી ભગવાન ત્રિ-નેત્ર શામ્બ (શંકર) દ્વારા જે દૈવી સમાજ ની ઉત્પત્તિ થયેલ છે એવા રબારી સમાજ ને મારા કોટી કોટી વંદન........ દરેક સમાજ નો પોતાનો આગવો ઇતિહાસ છે. તો પછી જે સમાજ ની ઉત્પત્તિ ભગવાન સદાશિવે પોતે કરી હોય તે સમાજ ના દૈવિ ઇતિહાસ નું નિરૂપણ આ પવિત્ર શ્રાવણ માસ માં આલેખવા નો લોભ જતો ન કરી શકું તે સ્વાભાવિક છે. પ્રલય અવસ્થા માં સમસ્ત બ્રહ્માંડ આધ શક્તિ મહામાયા માં શૂન્ય સ્વરૂપે સ્થિત હતું. આ મહામાયા એ જ્યારે શ્રુષ્ટિ રચના ની ઇચ્છા કરી ત્યારે તેઓ દ્વારા ક્રમશ: બે પિંડ ની રચના કરવા માં આવી. આ પિંડ માંથી ક્રમશ: બ્રહ્મા અને વિષ્ણું પ્રગટ થયા. આધ શક્તિ દ્વારા તેઓને પોતાની સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મુકવા માં આવ્યો. પરંતું તે બંને એ આધ શક્તિ મહામાયા પોતાની ઉત્પન્ન કર્તા મા હોવાથી તેમની સાથે લગ્ન નહીં કરીએ તેમ કહી તેમની આજ્ઞા નું પાલન ન કર્યું, આથી આધશક્તિ દ્વારા તે બંને નો સંહાર કરવા માં આવ્યો. આમ બંને પુરુષો ને ઉત્પન્ન કરવા છતાં મહામાયા નો ધ્યેય સિધ્ધ ન થતાં તેઓ દ્વારા ત્રીજા પિંડ ની રચના કરવા માં આવી તથા તેમાં થી શિવ સ્વયં પ્રગટ થયા. મહામાયા દ્વારા તેઓ ને આજ્ઞા કરવા માં આવી કે તેઓ તેમની સાથે લગ્ન સંબંધે જોડાય નહિતર આગળ બ્રહ્મા તથા વિષ્ણું જેવી દશા તેમની પણ થશે ! ભગવાન ભોળાનાથે ક્ષણ ભર થંભી તેમની સાથે લગ્ન સંબંધે જોડાવા પહેલાં બે વચનો આપવા કહેતાં શક્તિ તે વચનો આપવા સંમત થયાં. શિવ દ્વારા પહેલું વરદાન પૂર્વે સંહાર થયેલા બ્રહ્મા તથા વિષ્ણું ને સજીવન કરવા માટે માગવા માં આવ્યું. બીજા વરદાન માં મૂળ આધશક્તિ ને શિવે પોતાના માં સમાઇ જવા ની માગણી કરી. આમ મૂળ આધશક્તિ શિવ માં સમાઇ જતાં જે પા(૧/૪)–રતિ સૂક્ષ્મ પ્રકૃતિ સ્વરુપ બચ્યું તેની સાથે તેમણે શાસ્ત્રોક્ત દોષ મુક્ત લગ્ન કર્યાં. આમ શિવ અર્ધ નર-નારિશ્વર થયા. અને ત્યાર બાદ બ્રહ્મા દ્વારા માનસી સૃષ્ટિ ની રચના નું કાર્ય આરંભવા માં આવ્યું. ભગવાન સદાશિવ હજારો વર્ષો સુધી કૈલાસ પર્વત પર અસમ્પ્રજ્ઞાત સમાધિ અવસ્થા માં રહેતા હતા. શિવ ની તપસ્યા દરમ્યાન આશ્રમ માં આધશક્તિ મહામાયા એકલાં પડી જતાં. શિવ લોક માં શિવ-શક્તિ સિવાય અન્ય કોઇ જીવ પણ ન હતો . અને વળી તેમાં ય પાછી ભગવાન શંકર ની આ લાંબી તપશ્ચર્યા ! આધશક્તિ થી આ એકલતા સહન ન થઇ શકી. એક વાર શિવ જ્યારે તપશ્ચર્યા પરવારી આશ્રમમાં આવ્યા ત્યારે તેઓ એ શિવ ને આ અંગે ફરિયાદ કરી તથા કહ્યું કે હે પ્રભુ ! આપ તો કૈલાસ પર હજારો વર્ષો સુધી તપસ્યા માં લીન થઇ જાઓ છો; અને હું માત્ર એકલી-અટુલી આ આશ્રમ માં રહું છું,આથી મને એકલવાયાપણું સાલે છે. મારો સમય આનંદમય રીતે પસાર થાય અને મને અન્ય કોઈનો સહવાસ મળી રહે તે સારું આપ કોઇ જીવ ઉત્પન્ન કરો ! સદા શિવે પોતા ની યોગમાયા થી સતી નું મન રંજન કરવા જીવ તો ઉત્પન્ન કર્યો, પણ કયો ? પંચ-પગી સાંઢણી ! પંચ-પગી સાંઢણી ને જોઇને દેવી એ ચિંતાતુર થ ઇ શિવ ને કહ્યું; “ અરે પ્રભુ ! આપે તો આ ઢંગધડા વગર નો અબોલ જીવ પેદા કરી ઉપર થી મારા દુઃખ માં વધારો કર્યો ? હવે આ જીવ ની સાર સંભાળ રાખી શકે અને મારી સાથે વાતચીત પણ કરી શકે એવો મારા સ્થૂળ દેહ જેવો જ જીવ ઉત્પન્ન કરવો પડશે ! અને સતિ ની આ વિનંતી સાંભળી શામ્બ-સદાશિવ દ્વારા પંચ-પગી સાંઢણી નો રખેવાળ એવો બાખરવાળ ઉત્પન્ન કરવા માં આવ્યો. શંકર ભગવાન ના અનેક નામો પૈકી નું તેમ નું મુખ્ય નામ શામ્બ હોઇ તે શામ્બલ- શાંબલ- શાંબળ- શાંબળ કે શાંબોળ કહેવાયો. આમ આધશક્તિ કે આધશકત (મુમ્માદેવિ) ની વિનંતી ને માન આપી શિવ દ્વારા સૌ પ્રથમ ઉત્પન્ન થયેલ જીવ સાંઢણી તે મહાદેવિ નું વાહન બન્યું. વળી તે અત્યંત પવિત્ર અને શક્તિ નું વાહન હોઇ સતી તરીકે માન્યતા પામ્યું. તેનું દૂધ કે જેમાં અનેક ઔષધીઓ નો રસ રહેલો છે તેનો ઉપભોગ કરવા માટે શાંબળ બડભાગી બન્યો. આમ સમસ્ત માનવ જાત તથા અન્ય તમામ જીવ પ્રજાપતિ બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થયા જ્યારે માત્ર રબારી સમાજ નો પૂર્વજ શાંબોળ એકલો જ શિવ દ્વારા ઉત્પન્ન થયો. શાંબોળ પોતે ભોળાનાથ નું સર્જન હોઇ તેના વંશ વૃક્ષ સમાન આ સમાજ માં તેના ગુણ ઉતરતાં આ સમાજ ભોળો, ચારિત્ર્ય વાન, નિષ્પાપ, શિવ ની જેમ સૌનું કલ્યાણ ઇચ્છ્તો, સાત્વિક, એક સંપિલો, મજબુત અને કઠણ બાંધા નો થયો. આજે પણ આખા દેશ માં સમસ્ત રબારી સમાજ મોટા ભાગે ભગવાન શંકર ના પ્રતીક સમ શિવલિંગ ને અચૂક પણે પોતાના દેહ પર ધારણ કરે છે; પછી તે વીંટી માં હોય કે કડા માં હોય! રબારી નો દીકરો જ્યારે ગૌ દોહન કરે ત્યારે અચૂક પણે પોતાની આંગળી પર ની શિવલિંગ વીંટી પર કે કાંડા પર ધારણ કરેલ શિવલિંગ કડા પર દૂધનો અભિષેક કરવો ભૂલતો નથી. આમ આ સમાજ ના સર્જનહાર શિવ હોઇ અને પરંપરાથી સમાજ શૈવ ચિહ્નો ધારણ કરતો હોઇ તેના ઇષ્ટદેવ ભગવાન ભોળાનાથ થયા.

    વળી રામાયણ માં કહેવાયું છે તેમ આ સમાજ ના ઇષ્ટદેવ શિવ પોતે નિરંતર રામ નું જ ધ્યાન ધરતા હોઇ આ સમાજ શૈવમતાવલંબી થવા ની સાથે રામ-કૃષ્ણ ને પણ અત્યંત આદરપૂર્વક ભજતો પરમ વૈષ્ણવ થયો. શૈવ અને વૈષ્ણવ એમ બંને મતો ને સમાન આદર આપવો એ આ સમાજની આગવી વિશિષ્ટતા છે. આ લક્ષણ અન્ય કોઇ સમાજમાં જોવામાં આવતું નથી રબારી સમાજ નો પૂર્વજ શાંબોળ શિવ દ્વારા ઉત્પન્ન થયેલ હોઇ શિવ જેવો મહાયોગી હોય તે સ્વાભાવિક છે. શિવ નો તે વિશેષ પ્રીતિ પાત્ર હતો. શિવ પોતે આ શાંબોળ પોતાની જેમ જ મહાયોગી થાય તેવું ઇચ્છતા હતા. તે ક્લેશ, કર્મ તથા કર્મ ફળ થી સદંતર મુક્ત એવો મુક્તાત્મા હતો. તે અવિદ્યા (મોક્ષ પ્રાપ્તી સિવાય નું મિથ્યા જ્ઞાન),અસ્મિતા (અનુભવ તથા તે માટે ના સાધન માં ઐક્ય ભાવ), રાગ, દ્વેષ તથા અભિનિવેશ (મૃત્યુ નો ભય) જેવા પંચ ક્લેશ થી મુક્ત યોગી હતો. હજારો વર્ષ ના આયુષ્ય વાળો અસંગ અને અભેદ ( જેને સ્ત્રી-પુરુષ નું પણ ભેદ જ્ઞાન ન હોય) હતો. એક વાર સતિ દ્વારા આ શાંબોળ ને નજીક ના નગરમાં બ્રહ્મા દ્વારા નિર્મિત માનવો પાસે ભિક્ષાટન માટે જવા કહેવા માં આવ્યું. શાંબોળ માતાજી ની આજ્ઞા માથે ચઢાવી ભિક્ષાટન માટે સિધાવ્યો. જેને બહારી સંસાર નું બિલકુલ જ્ઞાન નહોતું તેવા અસંગ યોગી એ સંસાર જોતાં તેના માં ભેદ જ્ઞાન આવ્યું . અવિધા, અસ્મિતા, રાગ, દ્વેષ તથા અભિનિવેશ જેવા સંસાર ના પાંચે ક્લેશોએ તેની ઉપર એક સાથે આક્રમણ કર્યું. અને ભોગી જીવો દ્વારા ભોગવાતા ભોગો ભોગવવા ના તેને અભરખા જાગ્યા. તે સંસારી બનવા નાં સ્વપ્ન સેવવા લાગ્યો ! ભિક્ષાટન કરી જેવો તે આશ્રમમાં પ્રવેશ્યો કે તરત જ ભિક્ષાન્ન ભરેલી જોળી તેણે ખૂણામાં બેઠેલાં માતાજી ના ખોળા માં છુટ્ટી ફેંકી ! માતા જી એ કારણ જણાવવા ખુબજ કહ્યું; પરંતુ શરમ નો માર્યો માતાજી ને પોતા ની હૈયાની વાત ન કહી શક્યો ! અને વળી અન્ન પાણી ની આખડી લ ઇ એક ખુણા માં મૌનવ્રત ધારણ કરી ને બેસી ગયો. માતાજી ના ખુબજ પ્રયાસો છતાં તેણે ક ઇ કહ્યું નહીં. ઘણા સમય પછી જ્યારે શિવ તપસ્યા કરી આશ્રમે પાછા આવ્યા ત્યારે તેમણે અત્યંત દુર્બળ અને દુઃખી દેખાતા સાંબળ ની હાલત અંગે તેને પુછ્યું. ઘણા પુછાણ બાદ પણ તેના દ્વારા અન્ન-પાણી ન લેવા નું તથા આમ રીસાઇ ને બેસી જવા નું કંઇ કારણ જાણી શકાયું નહિ. સતી ને પૂછતાં તેઓ પણ કંઇ કહી શક્યાં નહિ. છેવટે શિવે પોતાની યોગ માયા થી આખી વાત જાણી લીધી તથા મહામાયા ને પોતે સાંબળ ને ભિક્ષા માટે નહોતો મોકલવો જોઇતો એમ ઠપકો આપ્યો. શિવે વિચાર્યું કે હવે સાંબળ ને સંસારી બનાવ્યે જ છુટકો ! શિવ દ્વારા સાંબળ ને પરણવા માટે જ્યારે પૂછવા માં આવ્યું ત્યારે પોતાના અંતર ની વાત શિવ મુખે સાંભળતા તે અત્યંત આનંદ માં આવી ગયો. અને આનંદ ના અતિરેક માં તે અટ્ટ હાસ્ય કરવા માંડ્યો. શિવે વિચાર કર્યો કે સાંબળ અત્યંત ભોળો તથા નિષ્પાપ છે. તે સંસાર ની માયા તથા કાવા- દાવાઓ થી તદ્દન અજાણ હોઇ સંપૂર્ણ અને સોળ ગુણ સંપન્ન કન્યા હશે તો જ તેનો સંસાર રૂપી રથ સુખરૂપ પાર પાડી શકશે. કૈલાસ ની તમામ અપ્સરાઓ પૈકી ની એક માત્ર હિરા માં જ આ લાયકાત હતી. પરંતુ હિરા સાંબોળ સાથે પરણવા સીધી રીતે તૈયાર થાય તે અશક્ય હતું. અને વળી સાંબોળ હિરા નામની અત્યંત સ્વરૂપવાન તથા સોળ ગુણ સંપન્ન અપ્સરા સાથે જ પરણવા ઇચ્છતો હતો. એટલે શિવે હિરા સાંબોળ સાથે પરણે તે સારું એક યુક્તિ રચી. શિવે સાંબળ ને બોલાવી સાનમાં સમજાવ્યો કે હું આપણા કૈલાસ ની તમામ અપ્સરાઓ ને તારી પરણવા માટે ની પસંદગી માટે એક લાઇન માં ઊભી રાખીશ. અને ત્યાર બાદ એ તમામ માંથી કોઇ પણ એક નો પલ્લો પકડી લેવા માટે તને કહીશ. એ સમયે હિરા પોતાનું સ્વરુપ બદલી અત્યંત ભયંકર રાક્ષસી જેવી થઇ જશે. આમ જે ભયંકર, ઉગ્ર અને બિહામણા સ્વરુપ વાળી દેખાય તે જ હિરા હશે જેથી તું તેનો જ પલ્લો પકડી લેજે. ભૂલતો નહિ, અને તેમજ થયું. આમ હિરા તથા સાંબોળ સંસારી થયાં. હજારો વર્ષ બ્રહ્મચારી ,તપસ્વી અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધેલા સાંબોળ ના હિરા સાથેના સુખરૂપ દાંપત્ય જીવનથી તેના વંશ ની વૃધ્ધી થ ઇ. આ વંશ હિરાવંશ કહેવાયો. તથા આ વંશ નો સભ્ય હિરાવંશી કહેવાયો. આ હિરાવંશ ની દીકરીઓ હિરા જેવી હિરાવેદ (અત્યંત વ્યવહારું, કાર્ય દક્ષ તથા કોઠાડાહી ) તથા પુરુષો શિવ અંશ સાંબલ જેવા જ પ્રતાપી, ચારિત્ર્ય વાન, ખડતલ, બળવાન ,ઓજસ્વી, નિષ્કલંક તથા ભોળા અને નિસ્પૃહી પાક્યા. હિરાવંશીઓ જંગલોમાં તથા ભૂમિ ના અન્ય તમામ ભાગોમાં ભગવાન શિવ દ્વારા પોતાને સોંપાયેલ ફરજ ના ભાગ રૂપે પોતાની સાંઢણીઓ ને યથેચ્છ રીતે ચરાવવા માંડ્યા. તેના કારણે અન્ય પ્રજાજનો ને તેમના દ્વારા કરાતી ખેતી માં ભેલાણ તથા નુકસાન થવા માંડ્યું. અને તેઓ દ્વારા રાજાઓ (ક્ષત્રિયો) ને ફરિયાદો કરવા માં આવી. પરંતું ભગવાન શિવ દ્વારા ઉત્પન્ન અને આશીર્વાદ પ્રાપ્ત સમાજ ની વિરુધ્ધ કોઇ પણ પ્રકાર ની કાર્યવાહિ કરવી તે તેઓના સામર્થ્ય બહાર ની વાત હોઇ તેઓ ને બળથી નહિ પણ કળથી જ જીતાશે એમ માની રાજાઓ સ્વયં હિરાવંશી ઓ ને વિનંતી થી સમજાવવા સામે ચાલી તેઓની પાસે ગયા. હિરાવંશીઓ ને રાજા દ્વારા વિનંતી કરવામાં આવી કે તમો શિવના વિશેષ કૃપા પાત્ર હોઇ અમારા કરતાં પણ અત્યંત બળવાન છો એ વાત અમો સ્વિકારીએ છીએ. અમારા રાજ્ય શાસન માં રહેતી પ્રજા ખુબજ ઓછી જમીન માં ખેતી કરી તેનું ગુજરાન ચલાવે છે, વળી આટલી ઓછી ભૂમિ માં રાજ નું તથા પ્રજા નું માંડ પૂરું થાય છે એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે તમો રાજ થી દૂર રહો તો સારું, તમો હિરાવંશીઓ જે શરત મુકશો તે અમોને કબૂલ,મંજૂર અને બંધનકર્તા છે.ત્યારે રાજાઓ સાથેની મંત્રણાઓ મુજબ હિરાવંશીઓ એ કહેલું કે “ ત્રણ ભાગ પૃથ્વી અમારી ચોથીયા માં રાજા રાજ કરો ! ” આમ પહેલાં ના જમાનામાં પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા હિરાવંશીઓ નું વિશાળ જંગલો ની જમીનો, ચરાણો, ખેતી ન થ ઇ શકે તેવી પડતર જમીનો તથા ચોમાસુ પાકો લીધા પછી મોટા ભાગની પડતર જમીનો માં પોતાના પશુધન ના ચરાણ થી વ્યવસ્થિત રીતે પાલન થતું. (વસ્તી વધતાં તથા માનવો ની ભૂમિ ભૂખ વધવાની સાથે અગાઉ રાજાઓ દ્વારા હિરાવંશીઓ સાથે થયેલ કરાર ભંગ થવા માંડ્યો. જંગલો કપાતા ગયા અને ચરાણ ની જમીનો ઓછી થવા માંડી. આના કારણે રાજ્ય શાસન (જૂના રજવાડાઓ) દ્વારા કંઇક અંશે માલધારીઓ ના હક્કો જળવાઇ રહે તે સારું ગૌચર તથા ચરાણ ની અને વિડ ની જમીનો નીમ કરવામાં આવી તથા તેમાં અન્ય કોઇનું દબાણ ન થાય તે સારું કાયદા બનાવવા માં આવ્યા. પરંતું માલધારી સમાજના દુર્ભાગ્યે તેમના ભોળપણ અને ભણતર ના અભાવે, તેમને હક્કો ની જાણકારી ના હોઇ કહેવાતા જાગૃત લોકોએ ગૌચર અને ચરાણ ની જમીનો ઉપર કબજા જમાવ્યા અને સરકારોએ પણ સ્વતંત્રતા બાદ રજવાડાઓમાં માલધારીઓ ના હક્કો જે જળવાઇ રહ્યા હતા તેની સામે ઉદાસિનતા સેવી. દબાણ કર્તા સામે પગલાં લેવાની જગ્યાએ દબાણો ને નિયમ બધ્ધ કરી આપી આ પ્રવૃતિને વેગ આપ્યો. આમ માલધારી સમાજ પાંગળો થઇ ગયો.) રાજાઓ દ્વારા ત્રણ ભાગ જમીન હિરાવંશીઓ ને આપવા અંગે ના કરારો થતાં તેઓ રાજ્યની બહાર રહેવા માંડ્યા. આમ તેઓ રાજ-બારી, રા-બારી, રબારી કહેવાયા. વળી પૂર્વે મોટા ભાગની જમીનો જંગલ વિસ્તારની હોઇ તમામ નગરોને જોડતા રસ્તા જંગલો માંથી પસાર થતા. તમામ માર્ગો ના ભોમિયા તથા જંગલોમાં મુક્ત રીતે રાની પશુઓ કે અન્ય કોઇ પણ પ્રકારના ભય થી સદાય મુક્ત રબારી સમાજ જ વિહાર કરી શકતો. આ સમાજ નગરજનો, રાજા રજવાડા તથા સૈન્ય ને ભોમિયા તરીકે સેવાઓ આપતો એટલે તે રાહબારી તરીકે પણ ઓળખાતો. જંગલ માં તેમની સેવા ચાકરી માં આજ ની જેમ કંઇ કચાશ ન રાખતો, ખુબજ ભાવથી અને હૈયાના ઉમળકાથી તેના આંગણે પધારેલ અતિથિ ને પરોણાગત કરાવતો. અને વળી જ્યારે તે અતિથિ વિદાય થાય ત્યારે મોટેરાંઓ ના આદેશ મુજબ આ સમાજના જુવાનિયાઓ આંગણે પધારેલ અતિથિ તે પછી રજવાડા માંથી આવતી બહેન કે દીકરી એકલી પણ કેમ ન હોય તેને કોઇ પણ પ્રકાર ના વિકાર વગર મૂકવા જતો. આ સમાજ પાસે વિકાર તો હતો જ નહીં. રજવાડાઓ ને આ બાબતે પૂરો ભરોસો હતો. અને એટલે જ આ દૈવી ગુણોથી ભરેલ આખા સમાજ ને તેઓ દેવ (શિવ) અંશ થી ઉત્પન્ન થયેલ હોઇ દેવ-અંશી, દેવાંશી કે દેવાશી કહેતા. પાંડવો દ્વારા આ આખા સમાજ ને તે દૈવી સમાજ હોઇ દેસાઈ નો ઇલકાબ મળેલ છે. આમ આ આખો સમાજ દેસાઈ ની પદવી મહા પુરુષોના હાથે પામેલ છે. જે ગૌરવ લેવા જેવી બાબત છે. આ પદવી છેક અંગ્રેજો ના સમય સુધી કોઇ વિશિષ્ટ કામગીરી માટે આપવામાં આવતી. આજે પણ ઘણા સમાજો માં, મુસ્લિમ સમાજ માં પણ મર્યાદિત કુટુંબો અંગ્રેજો કે નજીકના સમય નાં રજવાડાં દ્વારા મળેલ આ પદવી થી દેસાઈ અટક ધારણ કરે છે. બસ આજે આટલું જ........ ફરી ક્યારે આપ સૌના સારા પ્રતિભાવ ની અપેક્ષાએ લખીશું....... આપ સૌને નમ્ર વિનંતી કે લખાણ માં કંઇ ભાષાકીય અશુદ્ધિ જણાય તો તેમાં યોગ્ય સુધારો કરશો 

No comments:

Post a Comment